તપાસીએ ભાષાનાં મૂળ

આપણી રોજબરોજની જિંદગીમાં જે ગજબની વણાઈ ગઈ છે અને આપણા જીવન માટે જે હવા-પાણી જેટલી અનિવાર્ય બની ગઈ છે એ ભાષા આખરે છે શું? આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ, શ્રી કાન્તિ મેપાણીના આ લેખ સાથે, એમના અને ‘અખંડઆનંદ’ના સાદર ઋણસ્વીકાર સાથે.

બાવર પંખીઓ કલાકાર છે. પાંદડાં ખાતી કીડીઓ ખેતીના પ્રયોગો કરે છે. કાગડાઓ ઓજાર વાપરે છે. હરીફોનો સામનો કરવા માટે ચિમ્પાન્ઝીઓ સંગઠન બનાવે છે, પણ આ બધાંયથી માણસ ચડિયાતો કેવી રીતે છે ? એની ભાષા, પોતાના વિચારોને વ્યક્ત કરવાની એની શક્તિ જ એને પ્રાણીસૃષ્ટિમાં, જીવંત સૃષ્ટિમાં સર્વોપરી બનાવે છે. માનવી સ્વભાવ અને માનવસ્વભાવના ઘડતરમાં ભાષાનો ફાળો મહત્વનો હોવાથી એનાં મૂળ અને કુળ શોધવાના પ્રયત્નો માનવી કરતો આવ્યો છે. માત્ર ભાષાશાસ્ત્રીઓ જ એમાં અપવાદ છે.

ઈ.સ. 1866માં પેરિસની લિગ્વસ્ટીક સોસાયટીએ જાહેર કર્યું કે ભાષાનાં મૂળ વિષે કોઈનાં અનુમાનો સ્વીકારવા એ તૈયાર નથી.

પણ પુરાતત્વશાસ્ત્ર, નવૃંશશાસ્ત્ર, માનવીની વર્તદ્ક વગેરેના અભ્યાસમાંથી ભાષાનાં મૂળ સ્પષ્ટ થવા માંડ્યાં છે. અને આ અભ્યાસ અને અખતરાઓથી પોતાની જાતને અલગ રાખીને બેઠેલા ભાષાશાસ્ત્રીઓ પણ હવે એ સંશોધનમાં કામે લાગી ગયા છે.

ભાષાના વિકાસમાં માનવસંગઠનોના વિભાજને મોટો ભાગ ભજવ્યો છે. માનવસંગઠનનું સોથી પહેલું વિભાજન દક્ષિણ આફ્રિકાના કુગ અને ટાન્ઝનિયાના હાદ્ઝાના વચ્ચે થયું. આ બંને માનવજાતિઓ બોલવામાં ક્લિક નો ઉપયોગ કરતી હતી. ક્લિક એટલે જીભને તાળવે લગાડી નીચે ખેંચી લેવાથી જે અવાજ થાય તે. એને તાલવ્ય કહેવાય. માનવભાષામાં એ વ્યંજન છે.

પુરાતત્વશાસ્ત્રમાં આ વાતનો ઉલ્લેખ મળી આવે છે. આફ્રિકામાં મળી આવેલા આજના જેવા માનવીનાં હાડપિંજર પરથી લાગે છે કે આજના જેવો માનવી એક લાખ વર્ષ પહેલાં આફ્રિકામાં હતો. અને એ યુરોપના લોકો વાપરા હતા એવાં જ પથ્થરનાં અણઘડ ઓજારો વાપરતો હતો.

ત્યાર પછી એટલે કે આજથી પચાસ હજાર વર્ષ પહેલાં એક ભારે પરિવર્તન આવ્યું. માનવી વસાહતો બાંધી રહેવા માંડ્યો અને પથ્થરમાંથી અને હાડકાંમાંથી બનાવેલાં સુધારેલાં ઓજારો એ વાપરવા માંડ્યો. કલાકૃતિઓની અને લાંબા અંતરના વેપારવણજની સાબિતીઓ પણ મળી આવે છે.

સમયના એ ગાળામાં માણસના મગજમાં અણધાર્યા એવા ફેરફારો થયા હોવા જોઈએ કે જેના લીધી માણસે પોતાની ઉત્ક્રાંતિનું આવડું મોટું પગલું ભર્યું હોય અને એનો સીધો સંબંધ માનવીની ભાષાના વિકાસ સાથે છે. પચાસ હજાર વર્ષ પહેલાં માણસ સુધરવા માંડ્યાની સાબિતીઓ મળતી હોય તો ભાષા પણ એ જ કાળે જન્મી હોય એ બનવા જોગ છે.

પહેલી નજરે જોતાં તો એમ જ લાગે કે માણસને એકાએક વાચા ફૂટી હશે. દા.ત., વર્વેટ વાનરો. તેઓ ચિત્તા, સાપ, ગરુડ જેવાં શિકારી પ્રાણી-પક્ષીઓથી બચવા માટે જ કીલકારી કરી છે. એ પણ ભાષાનું જ એક સ્વરૂપ છે. કેટલાક સંશોધકો એ વાત સ્વીકારવા તૈયાર નથી. ભયની આગાહી કરવા માટે ભષાનો જન્મ થયો હોય એ વાત માનવા આ વિદ્વાનો તૈયાર નથી.

ભાષ બોલવામાં આવતા કે સાંભળવામાં આવતા શબ્દોમાંથી જન્મતી નથી. એના માટે માનવીના મગજમાં જ એવું એક તંત્ર છે કે જે શબ્દો અને વાક્યરચના પેદા કરે છે. જો દરેક શબ્દ માટે એક જ ધ્વનિ હોત તો શબ્દોશમાં એક હજારથી વધારે શબ્દો ના હોત. અત્યારે તો હાઇસ્કૂલમાં ભણતા વિદ્યાર્થી પાસે પણ સાઠ હજાર શબ્દોનું ભંડોળ હોય છે, ધ્વનિ એકમોનાં સંયોજનોથી પુષ્કળ ધ્વનિ એકમો મળી શકે છે.

ઉપરાંત અમુકઅમુક અર્થ વ્યક્ત કરવા માટે વાક્યોમાં શબ્દોની ગોઠવણી થાય છે જે વાક્યરચના કહેવાય છે.

ચિમ્પાન્ઝીના મગજમાં આવી કશી જ ગોઠવણ નથી કે જેના થકી એ વાક્યરચના કરી શકે. તેઓ ચારસો જેટલાં પ્રતીક રાખી શકે અને એને આડાંઅવળાં જોડી શકે, પણ એ શબ્દોની વ્યવસ્થિત ગોઠવણ કરતાં એમને આવડતું નથી. અને એનો અર્થ એવો નથી કે એમની પાસે વિચારશક્તિ નથી. તેઓ પોતાના સમૂહની વ્યક્તિને પિછાણી શકે છે, પણ એ તો માત્ર વિચારમાં જ. શબ્દરૂપે એને વ્યક્ત કરવાની એમનામાં શક્તિ નથી.

હવાઈ યુનિવર્સિટીના ડો. ડેરેક બીકટેન કહે છે કે ભાષાના પૂર્ણ વિકાસ પહેલાં બાળભાષા – સાબિતીઓ ભાષા શીખતા ચિમ્પાન્ઝીઓ અને બાળકોમાં જોવા મળે છે. એમની ભાષામાં અર્ધદગ્ધ હોય છે. સાંભળનારે એનો અર્થ બેસાડવાનો હોય છે.

ડો. બીકટેનના મત પ્રમાણે વીસ લાખ વર્ષ પહેલાં માણસે આવી અર્ધગ્ધ ભાષા બોલવાનું શરૂ કર્યું હશે. અત્યારે બોલાતી ભાષાનો જન્મ તો એક વીસ હજાર વર્ષ પહોલાં જ થયો છે.

ભાષા વિકાસ માટેનો પ્રથમ તબક્કો તો ત્યારે જ શરૂ થયો કે જ્યારે માનવીના પૂર્વજો જંગલનું સલામત જીવન છોડી ખુલ્લાં મેદાનોમાં વસવાટ કરવા માંડ્યા. રહેણાકની, ખાવાપીવાની માહિતીની એકબીજા સાથે આપલે કરવા માટે માનવીના પૂર્વજોને ભાષાની ખોટ સાલી હશે. અને એ ખોટ પૂરી કરવા માટે માનવીનું મગજ કામે લાગ્યું હશે.

અહીં એક સવાલ થાય છે કે માણસે સૌ પ્રથમ આ માહિતી આપલે ઇશારાથી કે હાવભાવથી કરી હશે ? ભાષા અને વાચાને આપણે અલગ અલગ નથી સમજતા. આપણે એમને ભેળસેળ કરીએ છીએ. ખરેખર તો ભાષાએ શબ્દનું વ્યક્ત સ્વરૂપ છે. અને વાચા એ ભાષાને વ્યક્ત કરવાની ગોઠવણ છે.

ન્યૂઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીના માનસશાસ્ત્રી ડો.કોર્બાલીસ કહે છે કે જ્યારે માનવીનો પૂર્વજ ચાર પગે ચાલવાનું છોડીને બે પગે ચાલવા માંડ્યો ત્યારે હાવભાવ માટે એના બે હાથ મુક્ત થયા. એમના મતે માનવીના મગજના વિચારોને વ્યક્ત કરવા માટે ભાષા પહેલાં હાવભાવ આવ્યા છે.

ચિમ્પાન્ઝી બીજી વ્યક્તિ વિષે વાત કરવા માટે ત્રીશેક જેટલા હાવભાવનો ઉપયોગ કરે છે. માણસ અત્યારે પણ હાવભાવથી પોતાના મનના વિચારો વ્યક્ત કરવાનું ભૂલ્યો નથી. આપણે ટેલિફોન પર વાત કરતાં હાવભાવ કરે છીએ. નૃત્યકલામાં હાવભાવ જ મુખ્ય છે. ડો. કોર્બાલીસના મત પ્રમાણે એક લાખ વર્ષ પહેલાંના માનવીના અરસપરસના વહેવારોમાં મગજમાં થયેલા ફેરફારોના પ્રતાપે વાચા અને હાવભાવ બંને થોડો વખત સાથે ચાલ્યાં પછી અમાંથી ભાષા જન્મી.

ભાષાશાસ્ત્રીઓ કહે છે કે – એટલે એક શબ્દસમૂહમાંથી બીજો શબ્દસમૂહ બનાવવાની માનવીની આવડત ભાષાના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. માનવીના મગજની આ શક્તિથી શબ્દભંડોળ અને વાક્યરચના જન્મે છે, ભાષા જન્મે છે, ભાષા વિકસે છે. પ્રાણીઓમાં આ આડત છે.

કેટલાંક, સંશોધકો એં માને છે કે ભાષાના વિકાસની શક્તિ બીજાં પ્રાણીઓમાં પણ છે. જો એને એ માર્ગે વાળવામાં આવે તો એ બની શકે.

ભાષાશાસ્ત્રીઓ અને જીવવિજ્ઞાન-શાસ્ત્રીઓ ભાષાની ઉત્પત્તિ વિશે મતમતાંતરની દુનિયામાં જીવી રહ્યા છે. પણ એક વખત એના માટેનું તંત્ર માનવીના મગજની વિકાસયાત્રામાંથી મળી રહેવાનું છે અ વાત નક્કી અને ત્યારે ભાષાશાસ્ત્રી અને જીવવિજ્ઞાનશાસ્ત્રી બંનેને સહમત થવું પડવાનું છે.