સાદર ઋણસ્વીકારઃ વિકસત દ્વારા પ્રકાશિત ‘નિયતિ’માંથી
ઓક્ટોબરનું પ્રથમ સપ્તાહમાં વન્યપ્રાણી સંરક્ષણ સપ્તાહ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ હોય કે પાલતુ પ્રાણીઓ બંને પર્યાવરણના અવિભાજ્ય અંગ છે. પર્યાવરણ અને તેમાં વસતા સજીવો સ્વતંત્ર નથી પરંતુ એકબીજા પર આધારીત છે.
પર્યાવરણ પ્રાણીઓનું આશ્રયસ્થાન માત્ર નથી પરંતુ સર્વસ્વ છે. અર્થાત્ પર્યાવરણ પ્રણીઓને પોષણ, આશ્રય, રક્ષણ વગેરે જેવી બધી સુવિધા પૂરી પાડે છે. પર્યાવરણમાં વસતાં પ્રાણીઓ પર્યાવરણ સાથે સતત આંતર પ્રક્રિયાઓ કર્યા જ કરે છે અને પરિણામે પર્યાવરણ બદલાતું રહે છે. પર્યાવરણ અને તેમાં વસનારા સજીવો એક તંત્રની રચના કરે છે જેને ઈકોસીસ્ટમ કહે છે. રણ, જંગલ, તળાવ, જમીન તથા માનવ વસાહતની આગવી ઈકોસીસ્ટમ હોય છે અને આ બધી ઈકોસીસ્ટમ એકબીજા પર એસર કરતી હોય છે. વાઘ કે સિંહની વસ્તી ઓછી થવાથી માનવજીવન પર શું અસર થશે તેવી દલીલ કરનારા લોકોને વાઘ-સિંહની પર્યાવરણ સમતુલામાં શું ભૂમિકા છે તેની તેઓને ખબર નથી. પર્યાવરણ સમતુલામાં માણસ અને પ્રાણીઓની ભૂમિકા જોઈએ તો પર્યાવરણની અસમતુલા ઊભી કરવામાં માણસની ભૂમિકા વિવાદાસ્પદ રહી છે.
માનવ વસ્તી જ જંગલમાંથી ઘાસપાન અને વનસ્પતિઓને કાપીને લઈ જઈ તથા પ્રાણીનો શિકાર કરીને કુદરતે રચેલી પોષણજાળમાં વિક્ષેપ પાડે છે જેની અસર માણસની ખેતી અને પશુપાલન પર પણ થાય છે. સિંહ-વાઘ અને હરણ જેવા પ્રાણીઓ જંગલની ઈકોસીસ્ટમની પોષણજાળના એકબીજા સાથે ગુંથાયેલ તાંતણા છે તેમાંથી એકનો પણ નાશ થાય કે તેની સંખ્યામાં ફેરફાર થાય તો જંગલની ઈકોસીસ્ટમમાં અનેક પ્રકારના વિક્ષેપ થવાની શક્યતાઓ વધી જાય છે.
એક નાના ઉદાહરણ સાથે આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ તો ગીર અભયારણ્ય ઈકોસીસ્ટમમાં થતા ફેરફારોની અસર ગીર જંગલની આસપાસ ગામડાઓ પર પણ પડે છે. ગીર ઈકોસીસ્ટમની પોષણજાળમાં પડેલ ખલેલથી સિંહ માટે જંગલમાં ખોરાક ન રહેતા સિંહ ખોરાકની શોધમાં ગીર જંગલની આસપાસની માનવ વસ્તીમાં પહોંચી જાય છે અને કિંમતી પુશુઓનો કે માનવનો શિકાર કરે છે. નીલગાય, ચિંકારા કે અન્ય તૃણભક્ષી પ્રાણીઓ માટે જંગલમાં પૂરતું ઘાસ કે વનસ્પતિ નહીં રહેતા જંગલની આસપાસના ખેતરોમાં પોતાના ખોરાક માટે આ પ્રાણીઓ પહોંચી જાય છે અને ખેડૂતોનો કિંમતી પાક ચરી જાય છે અને બગાડે છે. ‘હાથના કર્યા હૈયે વાગ્યા’ જેવો ઘાટ થયો.
વિશ્વમાં 84 લાખ જીવયોનિ છે તેવું આપણા શાસ્ત્રો કહે છે અને આ વાતને આધુનિક વિજ્ઞાનના સુપર કોમ્પ્યુટરમાં સંગ્રહાયેલ માહિતી કોષનું તેને સમર્થન પ્રાપ્ત છે. આ 84 લાખ જીવોમાંથી માણસ માત્ર 15 લાખ જીવોની ઓળખ કરી શક્યો છે. બાકીના જીવો વિશે હજુ આપણે અજ્ઞાન છીએ. વિશ્વની વન્યસૃષ્ટિની 6.5 ટકા વન્યસૃષ્ટિ ભારતમાં જોવા મળે છે. આ દરેક વન્યસૃષ્ટિ અજોડ છે. જેને અંગ્રેજીમાં UNIQUE કહીએ છીએ. જેના નાશ પછી તે ફરી ઉત્પન્ન કરી શકાય તેમ નથી.
84 લાખ સજીવોમાંથી જે 15 લાખની ઓળખ થઈ શકી છે પણ બાકીની ઓળખ આપણી જ્ઞાનની મર્યાદાને કારણે થઈ શકી નથી. કદાચ આપણી આવતી પેઢી પાસે આ જ્ઞાનના દરવાજા ખોલવાની આગવી દ્રષ્ટિ અને સમજણ આવતા તેની ઉપયોગિતાનો ખ્યાલ આવશે. જેમ હાલમાં કેટલાક અસાધ્ય રોગોની દવાઓ નથી તે રોગોની દવાઓ કદાચ આ અજાણ એવી કોઈ વન્યસૃષ્ટિમાં હોઈ શકે તો આવી બહુમૂલ્ય સંપત્તિનું જતન કરવું અનિવાર્ય છે.
ભારતમાં ઓળખાયેલ જીવસૃષ્ટિ
ફૂલોના છોડ 15000 સસ્તનવર્ગના પ્રાણીઓ 372
પેટ્રેરીડોફીટેસ્ટી 900 પક્ષીઓ 1228
બાયોફાયટેક્સ 2584 સરીસૃપ 428
લીએન્સ 1600 માછલીઓ 2546
ફૂગ 23000 મૂદુકાય પ્રાણીઓ 5000
લીલ 2500 જીવજંતુઓ 40000
આ બધી જીવસૃષ્ટિનું જતન કરવું ખૂબ જરૂરી અને મહત્વનું છે માટે વન્યપ્રાણીઓ બચાવવા જોઈએ કે માણસોને તેવા વિવાદમાં ન પડતા આ પર્યાવરણના બંને અવિભાજ્ય અંગ છે એક બીજાના પૂરક છે તે સ્વીકારીને અમૂલ્ય વન્યજીવસૃષ્ટિનું જતન કરવું જોઈએ.
જંગલોનો વિનાશ, ગેરકાયદેસર પ્રાણીઓનો શિકાર, શહેરીકરણ અને યુદ્ધોને કારણે વન્ય પશુ સંપત્તિનો સદંતર વિનાશ થયો. ભારતમાં નીલગાય, કાળિગાય, સાબર અને એક શિંગડાવાળો ગેંડો તથા પક્ષીઓની કેટલીય પ્રજાતિઓ વિનાશના આરે આવીને ઊભેલી છે. મનુષ્યની વસ્તી તો એટલી હદે વધતી જાય છે કે, તેના પર અંકુશ મૂકવાનો સમય આવી ગયો છે જ્યારે વન્ય પ્રાણીઓની વસ્તી એટલી ઝડપે ઘટી રહી છે કે તેની ગણીગાંઠી જીવિત સંખ્યાને અને પ્રજાતિઓને બચાવવા માટેના ખાસ પ્રયત્નો કરવાનો સમય આવ્યો છે અને એટલે જ ટાઈગર પ્રોજેક્ટ, ઈકોડેવલપમેન્ટ પ્રોજેક્ટ જેવા ખાસ પ્રયાસો હાથ ધરાયા છે.
પ્રકૃતિએ આ પૃથ્વીને ઘણા સજીવો માટે બનાવી છે, એટલે જ કવિ સ્વ. ઉમાશંક જોષીની જાણીતી પંક્તિ મુજબ આપણે અન્ય સજીવોના સહઅસ્તિત્વનો પણ સ્વીકાર કરીને તેમને પણ જીવન જીવવાનો અધિકારી છે તે સ્વીકારવું જોઈએ.
‘વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી,
પશુ છે, પંખી છે, પુષ્પો વનો ને છે વનસ્પતિ’
Filed under: દૃષ્ટિકોણ, પર્યાવરણ | Tagged: વન, વિકસત, સંરક્ષણ
